ગુજરાતના અમદાવાદમાં 12 જૂન 2025ની બપોરે એર ઇન્ડિયાનું લંડન જતું પ્લેન અકસ્માતનો ભોગ બન્યું હતું. લંડનના અખબાર ‘ધ ઇન્ડિપેન્ડન્ટ’નો એર ઇન્ડિયા પર એક રિપોર્ટ આવ્યો છે.
તે મુજબ એર ઇન્ડિયાએ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને વધારાના વળતરના બદલામાં કેસ કરવાનો અધિકાર છોડવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
એરલાઇન પરિવારોને વધારાના ₹10 લાખની અંતિમ રકમ આપીને સમજૂતીની ઓફર કરી રહી છે. કેટલાક કિસ્સાઓમાં આ રકમ 20 લાખ રૂપિયા સુધી છે.
પરિવારોએ આ શરત માનવી પડશે કે તેઓ ભવિષ્યમાં અકસ્માત સંબંધિત દાવો નહીં કરે અને તમામ કાનૂની જવાબદારીઓમાંથી કંપનીને મુક્ત કરશે. આ છૂટ કોઈપણ દેશ કે કોર્ટમાં લાગુ રહેશે.
લીગલ ટીમે વિરોધ કર્યો એર ઇન્ડિયાના આ પ્રસ્તાવનો 130 પીડિતોના પરિવારોની લીગલ ટીમે વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે તપાસ પૂરી થઈ નથી. જવાબદારી નક્કી થઈ નથી. આવી સ્થિતિમાં કેસનો અધિકાર છોડવાનું કહેવું અયોગ્ય છે. કેટલાક ઘાયલ પરિવારોની સારવાર હજુ પણ ચાલુ છે.
આ મામલે એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે એર ઇન્ડિયા આ મુશ્કેલ પ્રક્રિયામાંથી પસાર થઈ રહેલા દરેક પ્રભાવિત પરિવારની મદદ કરવા પ્રતિબદ્ધ છે. પ્રારંભિક વચગાળાની રકમ આપ્યા પછી અમે સુનિશ્ચિત કર્યું છે કે દરેક પરિવારને આપવામાં આવતી અંતિમ રકમ યોગ્ય અને કાયદા મુજબ હોય.
સુપ્રીમ કોર્ટે AAIB પાસેથી 3 અઠવાડિયામાં રિપોર્ટ માંગ્યો
સુપ્રીમ કોર્ટે 11 ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકારને વિમાન દુર્ઘટનાની તપાસના ‘પ્રોસિજરલ પ્રોટોકોલ’નો રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. સરકારે માહિતી આપી હતી કે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બોર્ડ (AAIB)ની તપાસ અંતિમ તબક્કામાં છે.
ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચ સમક્ષ NGO સેફ્ટી મેટર્સ વતી વકીલ પ્રશાંત ભૂષણે દલીલ કરી હતી કે ગંભીર અકસ્માતો માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીની જરૂર હોય છે, AAIBની તપાસની નહીં.
આ મુદ્દે બેન્ચે ટિપ્પણી કરી હતી કે, પહેલા AAIBની તપાસનું પરિણામ જોઈ લઈએ, ત્યારબાદ અમે નક્કી કરીશું કે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીની જરૂર છે કે નહીં.
પ્રશાંત ભૂષણે વધુમાં જણાવ્યું હતું કે, 8 હજારથી વધુ પાઇલટ્સ કહી રહ્યા છે કે બોઈંગ 787 સુરક્ષિત નથી અને તેને ગ્રાઉન્ડ કરી દેવું જોઈએ. AAIB તપાસ ટીમમાં 5 સભ્યો ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ના છે.
આના જવાબમાં કેન્દ્ર અને DGCA વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કટાક્ષ કરતા કહ્યું કે, પ્રશાંત ભૂષણને સંતુષ્ટ કરવાનો એકમાત્ર રસ્તો પોતે ભૂષણના નેતૃત્વમાં જ એક કમિટી બનાવવી છે. આ કેસની આગામી સુનાવણી ત્રણ અઠવાડિયા પછી થશે.
હવે વાંચો અમદાવાદ પ્લેન ક્રેશ વિશે
12 જૂને અમદાવાદથી લંડન જઈ રહેલી ફ્લાઇટ AI 171 ટેકઓફના થોડા સમય પછી એક મેડિકલ હોસ્ટેલની ઇમારત સાથે અથડાઈ હતી. આમાં 270 લોકોના મોત થયા હતા, જેમાં 241 મુસાફરો અને ક્રૂ મેમ્બર સામેલ હતા. માત્ર એક મુસાફર આ દુર્ઘટનામાં જીવતો બચ્યો હતો.
ફ્લાઇટરડાર24 અનુસાર, વિમાનનો છેલ્લો સિગ્નલ 190 મીટર (625 ફૂટ)ની ઊંચાઈ પર મળ્યો હતો, જે ઉડાન ભર્યાના તરત પછી આવ્યો હતો.
ભારતના સિવિલ એવિએશન રેગ્યુલેટર DGCA એ જણાવ્યું કે વિમાને 12 જૂનની બપોરે 1:39 વાગ્યે રનવે 23 પરથી ઉડાન ભરી હતી. ઉડાન ભર્યા પછી વિમાનના પાઇલટે એર ટ્રાફિક કંટ્રોલરને મેડે કોલ (ઇમરજન્સી મેસેજ) મોકલ્યો, પરંતુ તે પછી કોઈ જવાબ મળ્યો નહીં.
DGCA અનુસાર, વિમાનમાં બે પાઇલટ અને 10 કેબિન ક્રૂ સહિત કુલ 242 લોકો સવાર હતા. પાઇલટ પાસે 8,200 કલાક અને કો-પાઇલટ પાસે 1,100 કલાકનો ઉડાનનો અનુભવ હતો.